Luke 2

1તે દિવસોમાં કાઈસાર ઓગસ્તસે ફરમાન બહાર પાડયું કે, સર્વ દેશોના લોકોની ગણતરી કરવામાં આવે. 2કુરેનિયસ સિરિયા [પ્રાંત]નો રાજ્યપાલ હતો, તેના વખતમાં વસ્તીની એ પ્રથમ ગણતરી થઈ હતી. 3બધા લોકો પોતાનાં નામ નોંધાવવા સારુ પોતપોતાના શહેરમાં ગયા.

4યૂસફ પણ ગાલીલના નાસરેથ શહેરમાંથી યહૂદિયામાં દાઉદનું શહેર જે બેથલેહેમ કહેવાય છે તેમાં, 5પોતાનું તથા પોતાની ગર્ભવતી પત્ની મરિયમનું નામ નોંધાવવા ગયો, કેમકે તે ડેવિડના વંશ તથા કુળમાંનો હતો.

6તેઓ ત્યાં હતાં, એટલામાં મરિયમના પ્રસવાવસ્થાના દિવસો પૂરા થયા. 7અને તેણે પોતાના પ્રથમ દીકરાને જન્મ આપ્યો; તેને કપડામાં લપેટીને ગભાણમાં સુવડાવ્યો, કારણ કે તેઓને સારુ ધર્મશાળામાં કંઈ જગ્યા નહોતી.

8તે દેશમાં ઘેટાંપાળકો રાત્રે ખેતરમાં રહીને પોતાનાં ઘેટાંને સાચવતા હતા. 9પ્રભુનો એક દૂત તેઓની આગળ પ્રગટ થયો, પ્રભુના ગૌરવનો પ્રકાશ તેઓની આસપાસ પ્રકાશ્યો, તેથી તેઓ ઘણા ભયભીત થયા.

10દૂતે તેઓને કહ્યું કે ‘બીશો નહી; કેમ કે, જુઓ, હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું, અને તે સર્વ લોકોને માટે થશે; 11કેમ કે આજ ડેવિડના શહેરમાં તમારે સારુ એક ઉધ્ધારનાર, એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યા છે. 12તમારે માટે એ નિશાની છે કે, તમે એક બાળકને કપડામાં લપેટેલું તથા ગભાણમાં સૂતેલું જોશો.’

13પછી એકાએક દૂતની સાથે આકાશના બીજા દૂતોનો સમુદાય પ્રગટ થયો; તેઓ ઈશ્વરની સ્તુતિ કરીને કહેતા હતા કે, 14‘સ્વર્ગમાં ઈશ્વરને મહિમા, તથા પૃથ્વી પર જે માણસો વિષે તે પ્રસન્ન છે, તેઓ મધ્યે શાંતિ થાઓ.’

15જયારે દૂતો તેઓની પાસેથી આકાશમાં ગયા તે પછી, ઘેટાંપાળકોએ એકબીજાને કહ્યું કે, ‘ચાલો, આપણે બેથલેહેમ જઈને આ બનેલી બિના જેની ખબર પ્રભુએ આપણને આપી છે તે જોઈએ.’ 16તેઓ ઉતાવળથી ગયા, અને મરિયમને, યૂસફને, તથા ગભાણમાં સૂતેલા બાળકને જોયા.

17તેઓને જોયા પછી જે વાત એ બાળક સંબંધી તેઓને કહેવામાં આવી હતી, તે તેઓએ કહી બતાવી. 18જે વાતો ઘેટાંપાળકોએ કહી, તેથી સઘળા સાંભળનારાઓ આશ્ચર્ય પામ્યા, 19પણ મરિયમ એ સઘળી વાતો મનમાં રાખીને વારંવાર તે વિષે વિચાર કરતી રહી. 20ઘેટાંપાળકોને જે કહેવામાં આવ્યું હતું તે તેઓએ બધું સાંભળ્યું તથા જોયું, તેથી તેઓ ઈશ્વરનો મહિમા તથા સ્તુતિ કરતા પોતાનાં ઘેટાં પાસે પાછા ગયા.

21આઠ દિવસ પૂરા થયા પછી બાળકની સુન્નત કરવાનો વખત આવ્યો, તેમનું નામ ઈસુ પાડવામાં આવ્યું, જે નામ, જન્મ પહેલાં દૂતે આપ્યું હતું.

22મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે તેઓના શુઘ્ઘીકરણના દિવસો પૂરા થયા, 23ત્યારે જેમ પ્રભુના નિયમશાસ્ત્રમાં લખેલું છે કે, પ્રથમ જન્મેલો દરેક બાળક પ્રભુને સારુ પવિત્ર કહેવાય, તે પ્રમાણે તેઓ તેને પ્રભુની સમક્ષ રજૂ કરવાને, 24તથા પ્રભુના નિયમશાસ્ત્રમાં કહ્યા પ્રમાણે એક જોડ હોલાનો અથવા કબૂતરનાં બે બચ્ચાને અર્પણ કરવા સારુ, તેને યરુશાલેમમાં લાવ્યાં.

25ત્યારે જુઓ, સિમયોન નામે એક માણસ યરૂશાલેમમાં હતો, તે ન્યાયી તથા ધાર્મિક હતો, તે ઇઝરાયલને દિલાસો મળે તેની રાહ જોતો હતો, અને પવિત્ર આત્મા તેના પર હતો. 26પવિત્ર આત્માએ તેને જણાવ્યું હતું કે, ‘પ્રભુના ખ્રિસ્તને જોયા પહેલાં તું મરશે નહિ.’

27તે આત્મા[ની પ્રેરણા]થી ભક્તિસ્થાનમાં આવ્યો, ત્યાં નિયમશાસ્ત્રની વિધિ પ્રમાણે કરવા માટે બાળક ઈસુના માતાપિતા તેમને સિમયોનની પાસે લાવ્યા. 28ત્યારે તેણે બાળકને હાથમાં ઊંચકીને ઈશ્વરની સ્તુતિ કરીને કહ્યું કે, 29‘હે પ્રભુ, હવે તમારા વચન પ્રમાણે તમે તમારા સેવકને શાંતિથી જવા દો;

30કેમ કે મારી આંખોએ તમારો ઉધ્ધાર જોયો છે, 31જેને તમે સર્વ લોકોની સંમુખ સિદ્ધ કર્યો છે; 32તે બિનયહૂદીઓ માટે પ્રકટીકરણનો પ્રકાશ અને તમારા ઇઝરાયલી લોકોનો મહિમા છે.’

33તેમના (બાળક) સંબંધી જે વાતો કહેવામાં આવી, તેથી તેમનાં માતાપિતા આશ્ચર્ય પામ્યાં. 34શિમયોને તેઓને આશીર્વાદ આપ્યો, અને તેમની મા મરિયમને કહ્યું કે , ‘જો, આ બાળક ઇઝરાયલમાંના ઘણાના પડવા, તથા પાછા ઊઠવા સારુ, તથા જેની વિરુદ્ધ વાંધા લેવામાં આવે તેની નિશાની થવા સારુ ઠરાવેલો છે. 35હા, તારા પોતાના જીવને તરવાર વીંધી નાખશે; એ માટે કે ઘણાં મનોની કલ્પના પ્રગટ થાય.’

36આશેરના કુળની ફનુએલની દીકરી હાન્ના, એક પ્રબોધિકા હતી. તે ઘણી વૃદ્ધ થઈ હતી. અને તે પોતાનાં લગ્ન પછી પોતાના પતિની સાથે સાત વર્ષ સુધી રહી હતી. 37તે ચોર્યાસી વર્ષથી વિધવા હતી; તે ભક્તિસ્થાનમાં જ રહેતી હતી, અને રાતદિવસ ઉપવાસ તથા પ્રાર્થનાસહિત ભક્તિ કર્યા કરતી હતી. 38તેણે તે જ ઘડીએ ત્યાં આવીને પ્રભુની સ્તુતિ કરી, અને જેઓ યરૂશાલેમના ઉદ્ધારની રાહ જોતા હતા તે સઘળાને તે બાળક સંબંધી વાત કરી.

39તેઓ પ્રભુના નિયમશાસ્ત્ર પ્રમાણે બધું કરી ચૂક્યા પછી ગાલીલમાં પોતાના શહેર નાસરેથમાં પાછાં ગયાં. 40ત્યાં તે છોકરો મોટો થયો, અને જ્ઞાનથી ભરપૂર થઈને બળવાન થયો, અને ઈશ્વરની કૃપા તેના પર હતી.

41તેનાં માતાપિતા વરસોવરસ પાસ્ખાપર્વમાં યરૂશાલેમ જતાં હતાં. 42જયારે ઈસુ બાર વરસના થયા, ત્યારે તેઓ રિવાજ પ્રમાણે પર્વમાં ત્યાં ગયાં. 43[પર્વ]ના દિવસો પૂરા કરીને તેઓ પાછાં જવા લાગ્યાં, ત્યારે ઈસુ યરુશાલેમમાં રોકાઈ ગયા, અને તેમના માતાપિતાને તેની ખબર પડી નહિ. 44પણ તે સમૂહમાં હશે, એમ ધારીને તેઓએ એક દિવસ સુધી મુસાફરી કરી અને પછી પોતાનાં સગામાં તથા ઓળખીતામાં ઈસુને શોધ્યા.

45ઈસુ તેઓને મળ્યા નહિ, ત્યારે તેઓ તેમને શોધતાં શોધતાં યરુશાલેમમાં પાછાં ગયાં. 46ત્રણ દિવસ પછી તેઓએ તેમને ભક્તિસ્થાનમાં ધર્મગુરુઓની વચમાં બેઠેલા, તેઓનું સાંભાળતા તથા તેઓને સવાલો પૂછતા જોયા. 47જેઓએ તેમનુ સાંભળ્યું તેઓ બધા તેમની બુદ્ધિથી તથા તેમના ઉત્તરોથી વિસ્મિત થયા.

48તેમને જોઈને તેમનાં માતાપિતા આશ્ચર્ય પામ્યાં; અને તેમની માએ તેમને કહ્યું કે, ‘દીકરા, અમારી સાથે તું આવી રીતે કેમ વર્ત્યો? જો, તારા પિતાએ તથા મેં દુઃખી થઈને તારી કેટલી શોધ કરી!’ 49ઈસુએ તેઓને કહ્યું કે ‘તમે મારી શોધ શા માટે કરી? શું તમે જાણતાં નહોતાં કે મારે મારા પિતાના ઘરમાં હોવું જોઈએ?’ 50જે વાત ઈસુએ તેઓને કહી તે તેઓ સમજ્યાં નહિ.

51ઈસુ તેઓની સાથે ગયા, અને નાસરેથમાં આવ્યા, માતાપિતાને આધીન રહ્યા અને તેમની માએ એ સઘળી વાતો પોતાના મનમાં રાખી. ઈસુ જ્ઞાનમાં તથા કદમાં, ઈશ્વરની તથા માણસોની પ્રસન્નતામાં વૃદ્ધિ પામતા ગયા.

52

Copyright information for GujULB